૪ વ્યક્તિના પરિવારને રહેવા માટે પરેશભાઈ નું ઘર નાનું નહોતું, ત્રણ બેડ રૂમનું આ ઘર ખુબ જ સુંદર સજાવ્યું હતું. આખી જિંદગીની કમાણી એ ઘરમાં નાખી દીધી હોય એ રીતે ઘરને એકદમ સુંદર સજાવીને બનાવ્યું હતું.
પરંતુ લગ્નના થોડા જ મહિના પછી જ્યારે કાર્તિકે તેના પિતા પાસે આવીને કહ્યું હતું કે પપ્પા હવે હું પણ એક ઘર બનાવવા માંગુ છું. મારે પણ મારું પોતાનું ઘર હોય એ સપનું પૂરું કરવું છે.
આ સાંભળીને પરેશભાઈ અને ભાવનાબેન બંને આશ્ચર્ય ચકિત રહી ગયા હતા કારણકે લગ્નના થોડાક મહિના પછી જ દીકરો પોતાના બીજા ઘર બનાવવાની વાત કરતો હતો એટલે માતા-પિતાને એમ થયું કે તો આ ઘર કોનું છે?
ત્યારે કાર્તિકે જવાબ આપ્યો કે પપ્પા તો તમારું ઘર છે હું મારા ઘરને મારી મહેનતથી બનાવવા માગું છું. મને ખૂબ જ સારી નોકરી મળી છે અને સેવિંગ્સ પણ કરી ચુક્યો છું. એટલે હવે મારું ઘર બનાવવાનું સપનું પૂરું કરવા માંગુ છું.