ભિખારીને કહ્યું તું મારો બિઝનેસ પાર્ટનર બનીશ? ત્યારે ભિખારીએ કહ્યું...
સૂર્યનો પ્રખર તાપ ધરતીને દઝાડી રહ્યો હતો. શહેરના એક વૈભવી વિસ્તારને જોડતા રસ્તાના કિનારે, ધૂળ અને ગરમીમાં લપેટાયેલો એક યુવાન ભિખારી બેઠો હતો. તેનું શરીર સુદૃઢ હતું, હાથમ પગ મજબૂત દેખાતા હતા, છતાં તેની આંખોમાં એક અજીબ નિરાશા ઘેરાયેલી હતી. મહિનાઓથી તેને કોઈ કામ મળ્યું ન હતું, અને પેટનો ખાડો પૂરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા શહેરના નામાંકિત ઉદ્યોગપતિ શેઠ ધનસુખલાલ. એમની ગાડીની ઠંડક અને એમનો રેશમી પહેરવેશ બહારના તાપમાનથી સાવ વિપરીત હતા. તેમની નજર આ ભિખારી પર પડી. સામાન્ય રીતે આવા દ્રશ્યોથી ટેવાયેલા હોવા છતાં, આ યુવાનની આંખોમાંની નિરાશાએ તેમનું ધ્યાન ખેંચ્યું. ગાડી ઊભી રખાવી, શેઠ ધનસુખલાલ નીચે ઉતર્યા.
"કેમ ભાઈ, આમ ભીખ માંગી રહ્યો છે? શરીર તો સાવ નિરોગી લાગે છે," શેઠ ધનસુખલાલે નરમાશથી પૂછ્યું.
ભિખારી, જેનું નામ મંગળ હતું, તેણે ઊંચું જોયું. તેની આંખોમાં સહેજ શરમ અને લાચારી હતી. "શેઠજી, શું કહું... કેટલાય દરવાજા ખખડાવ્યા, પણ ક્યાંય કામ મળતું નથી. જો કોઈ કામ મળે, તો આ ક્ષણથી જ આ વાટકી ફેંકી દઉં!" આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
શેઠ ધનસુખલાલ હસ્યા. તેમની આંખોમાં એક ચમક આવી. "કામ? ના, હું તને કોઈ નોકરી તો નહીં આપી શકું."
મંગળના ચહેરા પર ફરી નિરાશા છવાઈ. "તો પછી...?"
"પણ મારી પાસે એનાથી પણ કંઈક ઘણું સારું છે," શેઠ બોલ્યા. "તું મારો ભાગીદાર બની જા."
મંગળને પોતાના કાનો પર વિશ્વાસ ન આવ્યો. એક ભિખારી અને શહેરના સૌથી મોટા શેઠનો ભાગીદાર? શું આ કોઈ મજાક હતી? "ભાગીદાર? હું... અને આપનો ભાગીદાર? એ કઈ રીતે શક્ય છે?" તેનો અવાજ આશ્ચર્યથી ભરેલો હતો.
"હા, કેમ નહીં?" શેઠ ધનસુખલાલે ગંભીરતાથી કહ્યું. "મારી પાસે ચોખાની એક મોટી મિલ છે. તારું કામ એ ચોખાને બજારમાં પહોંચાડવાનું, વેચવાનું અને એનો હિસાબ રાખવાનું. દર મહિનાના અંતે જે પણ નફો થશે, તે આપણે વહેંચી લઈશું."
મંગળની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. આ સાંભળીને તેને લાગ્યું કે જાણે કોઈ સ્વર્ગીય દૂત તેના માટે ધરતી પર ઉતરી આવ્યા હોય. "આપ... આપ તો મારા માટે ભગવાન બનીને આવ્યા છો શેઠજી! આપનો આભાર હું કેવી રીતે વ્યક્ત કરું એ સમજાતું નથી." થોડીવાર માટે તે ચૂપ થઈ ગયો, પછી સંકોચ સાથે પૂછ્યું, "પણ... આપણે નફાની વહેંચણી કઈ રીતે કરીશું? હું ૨૦ ટકા અને આપ ૮૦ ટકા? કે પછી હું ૧૦ ટકા અને આપ ૯૦ ટકા? જે પણ આપ નક્કી કરો, મને મંજૂર છે અને હું ખૂબ ખુશ છું."
શેઠ ધનસુખલાલે મંગળના માથા પર પ્રેમથી હાથ મૂક્યો. "ના મંગળ, મારે નફાનો માત્ર ૧૦ ટકા જ જોઈએ છે. બાકીનો ૯૦ ટકા તારો. જેથી તું તારું જીવન સુધારી શકે, પ્રગતિ કરી શકે."
આ સાંભળીને મંગળ પોતાના ઘૂંટણિયે પડી ગયો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહેતા હતા. "આપ જે કહેશો એ જ કરીશ શેઠજી. હું આપનો જીવનભર ઋણી રહીશ."
અને ખરેખર, બીજા જ દિવસથી મંગળે કામે લાગી ગયો. શેઠ ધનસુખલાલની મિલમાંથી ઉત્તમ ગુણવત્તાના ચોખા બજારભાવ કરતાં સસ્તા મળતા હતા. મંગળે દિવસ-રાત એક કરીને મહેનત કરી. તેણે નાનામાં નાના વેપારીઓથી લઈને મોટા વેપારીઓ સુધી સંપર્ક સાધ્યો. તેની પ્રમાણિકતા અને મહેનત રંગ લાવી. ખૂબ જ ટૂંકા ગાળામાં તેનો વેપાર ખૂબ જ મોટા પાયે ફેલાઈ ગયો. તેની આવક અનેકગણી વધી ગઈ. રસ્તા પર ભીખ માંગતો મંગળ હવે એક સન્માનિત વેપારી બની ગયો હતો. તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું.
અને પછી એ દિવસ પણ આવ્યો જ્યારે નફાની વહેંચણી કરવાની હતી. મંગળે હિસાબ કર્યો. નફો ધારણા કરતાં ઘણો વધારે થયો હતો. શેઠ ધનસુખલાલનો ૧૦ ટકા હિસ્સો પણ એક મોટી રકમ થતી હતી. આટલી મોટી રકમ તેણે ક્યારેય એકસાથે જોઈ ન હતી.
અચાનક તેના મનમાં એક શેતાની વિચાર પ્રવેશ્યો. 'આ નફો મેં મારી દિવસ-રાતની મહેનતથી કમાયો છે. શેઠ ધનસુખલાલે શું કર્યું? તેમણે તો માત્ર એક તક આપી. શું તેઓ આ નફાના ૧૦ ટકાના હકદાર છે? બિલકુલ નહીં! બધી મહેનત તો મેં કરી છે!'
મંગળના મનમાં લોભ અને સ્વાર્થ ઘર કરવા લાગ્યા. તેણે નક્કી કર્યું કે તે શેઠને તેમનો ભાગ નહીં આપે.
નિયત સમયે શેઠ ધનસુખલાલ પોતાનો ૧૦ ટકા હિસ્સો લેવા માટે આવ્યા. મંગળનો ચહેરો જોતા જ શેઠને કંઈક અજુગતું લાગ્યું.
"કેમ મંગળ, હિસાબ તૈયાર છે ને?" શેઠે શાંતિથી પૂછ્યું.
મંગળે મોઢું બગાડ્યું, ચહેરા પર ખોટી ચિંતા બતાવી અને કહ્યું, "શેઠજી, હજી થોડો હિસાબ બાકી છે. આ મહિને થોડું નુકસાન ગયું છે. થોડા લોકો પાસેથી ઉઘરાણી બાકી છે. જરા સેટિંગ કરતા વાર લાગશે." તેણે જુદા જુદા બહાના બનાવીને શેઠને તેમનો ભાગ આપવાનું ટાળવાનું શરૂ કર્યું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
શેઠ ધનસુખલાલ અનુભવી વેપારી હતા. તેમને ખબર હતી કે મંગળનો વેપાર કેટલો સારો ચાલી રહ્યો છે. "મંગળ, મને ખબર છે કે તને કેટલો નફો થયો છે. તો પછી મારો હિસ્સો આપવામાં કેમ આનાકાની કરી રહ્યો છે?" શેઠના અવાજમાં સહેજ કડકાઈ આવી.
હવે મંગળમાં છૂપાયેલો લોભ ખુલ્લી રીતે બહાર આવ્યો. તેણે સીધેસીધું કહી દીધું, "આપ આ નફાના હકદાર નથી! બધી મહેનત મેં કરી છે. આપે તો માત્ર તક આપી હતી!"
વિચારો... જો શેઠ ધનસુખલાલની જગ્યાએ આપણે હોત અને મંગળ પાસેથી આવો જવાબ સાંભળત, તો આપણે શું કરત? આપણી પહેલી પ્રતિક્રિયા શું હોત? કદાચ ગુસ્સો, કદાચ દુઃખ, અને કદાચ એ વ્યક્તિ પરનો વિશ્વાસ ઊઠી જાત જેને આપણે મદદ કરી.
બસ, આવી જ રીતે... આ વાર્તા આપણને જીવનનો એક અણમોલ પાઠ શીખવે છે. વિચારો કે ભગવાને આપણને શું આપ્યું છે? જીવન આપ્યું, જેના વિના કંઈ શક્ય નથી. હાથ-પગ આપ્યા જેનાથી આપણે કર્મ કરી શકીએ. આંખો આપી જેનાથી દુનિયા જોઈ શકીએ, કાન આપ્યા જેનાથી સાંભળી શકીએ, બુદ્ધિ આપી જેનાથી સમજી શકીએ, બોલવા માટે જીભ આપી, અને અનુભવવા માટે લાગણીઓ આપી. ટૂંકમાં, ભગવાને આપણને બધું જ આપ્યું છે, એ તક આપી છે જેનાથી આપણે આ જીવનરૂપી વેપારમાં પ્રગતિ કરી શકીએ.
ભગવાને આપણને ૨૪ કલાકનો દિવસ આપ્યો છે. શું આપણને નથી લાગતું કે આ ૨૪ કલાકના માત્ર ૧૦ ટકા, એટલે કે લગભગ ૨ કલાક ભગવાનનો હક છે? આ સમય આપણે ખુશી ખુશી ભગવાનના નામ-સ્મરણમાં, પ્રાર્થનામાં, કે ધર્મકાર્યમાં વિતાવવો જોઈએ. આ તો આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે એ પરમપિતાનો, જેમણે આપણને આ અણમોલ જીવન અને અઢળક સુખ આપ્યા છે.
જો આપણે મંગળની જેમ માત્ર પોતાની મહેનત અને સ્વાર્થનો જ વિચાર કરીશું અને ભગવાને આપેલા અવસર અને કૃપાને ભૂલી જઈશું, તો શું આપણે પણ એ જ અકૃતઘ્નતાના દોષી નહીં બનીએ? યાદ રાખો, જીવનનો સાચો હિસાબ ધનનો નહીં, પણ ધર્મનો અને કૃતજ્ઞતાનો છે.